શનિવાર, 12 ડિસેમ્બર, 2009



તબીબોની કોન્ફરન્સ



તબીબોની બેઠક મળી છે ને આજે ખરેખરનો મુદ્દો ઉપસ્થિત થયો છે,
વગર દિલના માણસનું વર્ગીકરણ શું?અને એમ કહેવું કે ગુજરી ગયો છે?


ગણો રોગ એને તો કારણ શું એનું?જો કારણ મળે તો નિવારણ શું એનું?
કયા લક્ષણોથી નિદાન એનું કરવું?અને કેટલો રોગ પ્રસરી રહ્યો છે?


વગર દિલના માણસની સાબિતી શું છે?વગર દિલના માણસની માહિતી શું છે?
કોઈ સંશોધનમાં છે ઉલ્લેખ એનો? કોઈને કોઈ કેસ એવો જડ્યો છે?


હતા એ બધાયે નિરાળા તબીબો,અતિસંવેદનશીલ શાણા તબીબો,
નહીંતર કદી આવા પ્રશ્નોને ક્યાંથી પ્રતિભાવ આવો કદી સાંપડ્યો છે?


દલીલો ઘણી થઈ તબીબોની વચ્ચે ,પ્રથમ તો ઘણાએ કર્યો પ્રશ્ન એવો,
સદા શ્વાસ લે છે,હરે છે,ફરે છે ,અને એમ કહેવું કે માણસ મર્યો છે?


હતા સંમેલનમાં ય એવા ઘણાયે,હતો નાતો જેઓને સાહિત્ય સાથે,
સમજતા હતા એ સ્થિતિનું પ્રયોજન,સમજતા હતા પ્રશ્ન સાચો કર્યો છે.


કહ્યું એમણે કે,હ્રદયનું ધબકવું એ ભૌતિક નથી ફક્ત,એથીય પર છે;
નહીં કાર્ડીયોગ્રામ એના મળે કંઇ,નથી કંઇ પુરાવોય એનો મળ્યો છે.


પરંતુ ખરેખર જે માણસ બીજા માનવીની જરૂરતને સમજી શકે ના,
ભલે શ્વાસ લે છે,હરે છે ફરે છે ,પરંતુ ન સમજો કે જીવી રહ્યો છે.


કદી ના હસે તે વગર દિલનો માણસ,કદી ના રડે તે વગર દિલનો માણસ;
કશું ના અડે તે વગર દિલનો માણસ,નહીં લાગણીથી કદી પાંગર્યો છે.


નથી જાણતા કોઈ કારણ સ્થિતિનું,નથી કોઈ ચોક્કસ નિવારણ સ્થિતિનું,
ફકત લક્ષણોથી નિદાન એનું કરવું,ફકત જાણવું કે એ ગુજરી ગયો છે.


રહ્યા સાંભળી જે સભામાં તજજ્ઞો,એ બોલી ઉઠ્યા ,છે ખરે રોગ વ્યાપક
હશે એમ તો લ્યો,કરો સૌ સમાપન,તને પણ થયો છે,મને પણ થયો છે.!!!





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો